સમુદ્રની નીચેના ઇન્ટરનેટ કેબલ અચાનક કપાઈ જાય તો ભારતનું શું થશે, શું છે દેશની સૌથી મોટી ડિજિટલ નબળાઈ?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
ભારતની સૌથી મોટી ડિજિટલ નબળાઈઓમાંની એક મુંબઈના અરબી સમુદ્રના કિનારાના છ કિલોમીટર લાંબા વિસ્તારમાં આવેલી છે.
મુંબઈના ઉત્તર-પશ્ચિમમાં આવેલા ગીચ વસ્તીવાળા વર્સોવા વિસ્તારમાં ભારતના 18 આંતરખંડીય સબમરીન કેબલોમાંથી ઓછામાં ઓછા 13 કેબલ છ કિલોમીટરના દરિયાકાંઠાના પટ્ટામાં કિનારે આવે છે.
બધું મળીને, તે યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સુધી ભારતની આંતરરાષ્ટ્રીય બૅન્ડવિડ્થના 95% જેટલા હિસ્સાનું વહન કરે છે.
"ગંભીર ભૌગોલિક સઘનતાને કારણે આ નેટવર્ક એક ગંભીર નબળાઈનો સામનો કરી રહ્યું છે," થિંક ટૅન્ક તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂશનનાં અનુષા સેન કહે છે.
"આમાંથી ઘણા કેબલ એકસાથે કપાઈ જાય—પછી તે અકસ્માતે હોય કે ઇરાદાપૂર્વક—તો પશ્ચિમ એશિયા, આફ્રિકા અને યુરોપ તરફ પશ્ચિમ દિશામાં જતી ભારતની મોટી માત્રાની બૅન્ડવિડ્થ અસરગ્રસ્ત થશે. કેબલનું માળખું ટ્રાફિકને અન્ય માર્ગે વાળવાની મંજૂરી આપે છે, તેથી કેબલ કપાઈ જવાથી સંપૂર્ણ બ્લૅકઆઉટ નહીં થાય.
નિષ્ણાતો કહે છે કે ટ્રાફિકને અન્ય લૅન્ડિંગ પૉઇન્ટ્સ મારફતે વાળી શકાય છે. તેમાં દક્ષિણ ભારતનાં ચેન્નાઈ અને કોચી શહેરોનો પણ સમાવેશ થાય છે.
ભારતના 18 સબ-સી કેબલો મુંબઈ, ચેન્નાઈ, કોચી, તુતુકુડી અને તિરુવનંતપુરમમાં કિનારે આવે છે.
પરંતુ કામગીરીમાં થોડો ઘટાડો પણ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ડેટાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં લાગતા સમયમાં થતો નાનો વધારો પણ બૅન્કો, સ્ટૉક ઍક્સચેન્જો, ક્લાઉડ પ્રોવાઇડર્સ અને સરકારી નેટવર્ક્સ માટે ખર્ચાળ બની શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને સંવેદનશીલ હોઈ શકે છે, કારણ કે તેઓ મોટી માત્રામાં ડેટાની ઝડપી હેરફેર પર આધાર રાખે છે.
આ નબળાઈ એ હકીકતમાંથી ઊભી થાય છે કે વિશ્વના કેટલા મોટા પ્રમાણમાં ડિજિટલ ટ્રાફિક આ કેબલો પર નિર્ભર છે.

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઇન્ટરનેટના છુપા હાઇવે છે. સમુદ્રના તળિયે પથરાયેલા આ ઑપ્ટિકલ ફાઇબરના કેબલ પ્રકાશના પલ્સ દ્વારા એક ખંડમાંથી બીજા ખંડમાં ડેટા પહોંચાડે છે.
માનવોએ આવી આશરે 870,000 માઇલ (14 લાખ કિલોમીટર) કેબલો પાથર્યા છે, જે "પૃથ્વીને મજબૂત રીતે એકસાથે બાંધી દે છે", એવું સામન્થ સુબ્રમણ્યન પોતાનાં નવા પુસ્તક 'ધ વેબ બીનીથ ધ વેવ્ઝ'માં લખે છે. આ કેબલો વૈશ્વિક સંચાર ટ્રાફિકના આશરે 99% હિસ્સાનું વહન કરે છે.
સસ્તા ડેટાએ ભારતને વિશ્વના સૌથી મોટા ઇન્ટરનેટ બજારોમાંનું એક બનાવવામાં મદદ કરી છે.
2025ના અંત સુધીમાં, દેશમાં એક અબજથી વધુ બ્રૉડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ હતા. ભારતની વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થા અને સેવા ક્ષેત્ર આ કેબલો પર વધુ ને વધુ નિર્ભર થઈ રહ્યા છે.
પરંતુ આ અદૃશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારતની વધતી નિર્ભરતા સામે એ હકીકત ચિંતાજનક છે કે દેશમાં તેનો પોતાનો હિસ્સો ખરેખર ઘણો ઓછો છે.
ભારત વિશ્વના ડેટા વપરાશનો આશરે 20% હિસ્સો ધરાવે છે, પરંતુ વિશ્વના સબમરીન કેબલોમાં ભારતનો હિસ્સો માત્ર આશરે 3 ટકા છે.
ભારતમાં 21 કેબલ લૅન્ડિંગ સ્ટેશનો છે. આ દરિયાકાંઠા પરનાં એવા પ્રવેશદ્વાર છે, જ્યાં સમુદ્રની નીચેથી આવતી કેબલો જમીન પરના નેટવર્ક સાથે જોડાય છે. વિશ્વભરમાં આવાં આશરે 1,900 આયોજનબદ્ધ અને સક્રિય સ્ટેશનો છે. એટલે કે, બ્રૉડબેન્ડ ઇન્ડિયા ફોરમ (બીઆઈએફ) અનુસાર, વિશ્વનાં કુલ સ્ટેશનોમાં ભારતનો હિસ્સો આશરે 1% છે.
"બીઆઈએફનાં અધ્યક્ષ અરુણા સુંદરરાજન કહે છે, " આપણે કેબલ લૅન્ડિંગ સ્ટેશનોની સંખ્યા અનેકગણી વધારવાની જરૂર છે."
નિષ્ણાતો માને છે કે આ ભારતના ડિજિટલ પરિવર્તનના કેન્દ્રમાં રહેલો વિરોધાભાસ છે: દેશ ઇન્ટરનેટ અને ડેટા-સેન્ટર ક્ષેત્રે એક શક્તિશાળી કેન્દ્ર બની રહ્યો છે, પરંતુ તેને વિશ્વ સાથે જોડતા ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તેનું પૂરતું નિયંત્રણ નથી.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂશનના તાજેતરના એક પત્રમાં જાણવા મળ્યું છે કે ભારતના 18 આંતરરાષ્ટ્રીય કેબલોમાંથી 11 કેબલો 20 વર્ષથી વધુ જૂનાં છે અને સબમરીન કેબલ સિસ્ટમની 25 વર્ષની સામાન્ય કાર્યકારી આયુષ્યમર્યાદા તરફ આગળ વધી રહ્યાં છે.
" એ સાચું છે કે ભારતની લૅન્ડિંગ કેબલોનો નોંધપાત્ર હિસ્સો તેમની આર્થિક કાર્યકારી આયુષ્યના અંતની નજીક પહોંચી રહ્યો છે. તેથી, આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે." ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાઇટસ્ટોર્મના ગ્રૂપ સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર અમજીત ગુપ્તા કહે છે.
ઉપરાંત, કેબલમાં આવતી ખામીઓ પણ છે. ઇરાદાપૂર્વકના હુમલાઓ કરતાં આ ઘણી વધુ સામાન્ય સમસ્યા છે.
વિશ્વભરમાં દર વર્ષે અંદાજે 150-200 કેબલ ફૉલ્ટ્સ થાય છે, જેમાંથી મોટા ભાગના તોડફોડ કરનારાઓને કારણે નહીં, પરંતુ માછીમારી, જહાજોનાં લંગર, કુદરતી જોખમો અને સાધનોની ખામીને કારણે થાય છે.
"રેડ સી વિક્ષેપો દરમિયાન અમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો," ગુપ્તાએ કહ્યું. ત્યારે ટ્રાફિકને સિંગાપોર મારફતે પૂર્વ તરફ અને ત્યાંથી અમેરિકાની દિશામાં વાળવામાં આવ્યો હતો.
અને સમુદ્રની નીચેની કેબલ તૂટી જાય, ત્યારે ભારતની વધુ એક નોંધપાત્ર નબળાઈ છે, દેશમાં પોતાનું એક પણ સબમરીન કેબલ-રિપેર જહાજ નથી.
રિપેર જહાજોએ વિદેશથી આવવું પડે છે અને ભારતીય જળસીમામાં કામ કરવાની પરવાનગી મેળવવી પડે છે.
"ભારતીય જળસીમામાં કેબલમાં કોઈ ખામી સર્જાય ત્યારે દુબઈ અથવા સિંગાપોરથી વિદેશી રિપેર જહાજો મંગાવવા પડે છે. એક વાર વિદેશી જહાજ નક્કી થઈ જાય પછી, તેને ભારતીય જળસીમામાં કામ કરવા માટે લાઇસન્સ મેળવવું પડે છે. આના કારણે પહેલેથી જ લાંબી પ્રક્રિયામાં વધુ કેટલાંક અઠવાડિયાં ઉમેરાય છે," સેન કહે છે.
વિદેશી રિપેર ક્ષમતા પરની આ નિર્ભરતા ભારત માટે વધુ ગંભીર નબળાઈ છે.
"ભારત માટે વધુ મોટો માળખાકીય મુદ્દો ટ્રાફિકને અન્ય માર્ગે વાળવાની ક્ષમતા નહીં - પરંતુ રિપેર કરવાની ક્ષમતા છે," ગુપ્તા કહે છે.
"વિદેશી રિપેર ક્ષમતા પરની નિર્ભરતા અને નિયમન પ્રક્રિયામાં લાગતો સમય—આ બંને મળીને જ વાસ્તવિક અડચણ ઊભી કરે છે,"તેઓ કહે છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પરંતુ રિપેરિંગ પડકારનો કેવળ એક ભાગ છે.
ગુપ્તાનું માનવું છે કે પ્રશ્ન એ નથી કે ભારત જૂના કેબલોને હટાવી રહ્યું છે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે જમીન પર અને સમુદ્રની નીચે ઊભી થતી નવી ક્ષમતા એઆઈ આધારિત વધતી માંગને પહોંચી વળશે કે નહીં. તેઓ કહે છે, "પાછળ રહીને ઉદ્યોગ તેની ભરપાઈ કરી શકે તેમ નથી; તેણે આગળ રહેવું જ પડશે."
આ માંગ ડેટા સેન્ટરોના ઝડપી નિર્માણને પણ વેગ આપી રહી છે - આ એવાં કમ્પ્યુટિંગ કેન્દ્રો છે જ્યાં ડેટા સંગ્રહિત થાય છે અને એઆઈ મૉડેલોનું પ્રશિક્ષણ તથા સંચાલન થાય છે. તેઓ પણ વૈશ્વિક ક્લાઉડ અને ઇન્ટરનેટ નેટવર્ક્સ સાથે ઝડપી અને વિશ્વસનીય જોડાણ પર નિર્ભર છે.
સરકારી આંકડા દર્શાવે છે કે સ્થાપિત ડેટા-સેન્ટર ક્ષમતા 2020માં 375MWથી વધીને આજે આશરે 1,575MW થઈ ગઈ છે.
આ એક સંભવિત વિસંગતી ઊભી કરે છે.
સુંદરરાજન કહે છે, "સબમરીન કેબલનું આયોજન કરવામાં જ ત્રણ-ચાર વર્ષ લાગે છે અને ત્યાર બાદ કેબલની લંબાઈના આધારે તેને બિછાવવામાં પણ બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે. તેથી, આવનારા ડેટા સેન્ટરો માટે પૂરતી સબમરીન કેબલ ક્ષમતા ઉપલબ્ધ થવામાં થોડો વિલંબ થઈ શકે છે.
ભારતની અમલદારશાહી કદાચ વધુ મોટો અવરોધ બની શકે છે.
સુંદરરાજન કહે છે કે ટેલિકૉમ, સંરક્ષણ, ગૃહ બાબતો, શિપિંગ, બંદરો, પર્યાવરણ અને રાજ્ય સત્તાધિકારીઓ સહિત 16 એજન્સીઓ સબમરીન કેબલોનાં બાંધકામ, સંચાલન અને રિપેરની મંજૂરી પ્રક્રિયામાં સામેલ છે.
તેમના જણાવ્યા અનુસાર, એક કેબલ લૅન્ડિંગ સ્ટેશન સ્થાપવા માટે જ ઓછામાં ઓછાં 16 મંત્રાલયોમાંથી આશરે 50 મંજૂરીઓ લેવાની જરૂર પડી શકે છે. તેઓ કહે છે, "મુખ્ય સમસ્યા તકનીકી ક્ષમતાનો અભાવ નહીં, પરંતુ વિકેન્દ્રિત શાસન છે."
તેઓ ઇચ્છે છે કે ભારતનું ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશન્સ મુખ્ય એજન્સી બને અને રિપેર જહાજોની પરવાનગીઓને ઝડપી બનાવવા માટે સિંગલ-વિન્ડો સિસ્ટમ હોય.
સુંદરરાજન કહે છે કે સરકારે પૂર્વ અને પશ્ચિમ એમ બન્ને કિનારાઓ અને ટાપુ પ્રદેશોમાં કેબલ લૅન્ડિંગ માટેનાં અનેક સ્થળો અગાઉથી નક્કી કરીને તેમને મંજૂરી આપી દેવી જોઈએ. આ સ્થળો માટે પ્રમાણભૂત શરતો નક્કી કરવી જોઈએ, જેથી કેબલ કંપનીઓએ દરેક વખતે મંજૂરીની પ્રક્રિયા નવેસરથી શરૂ ન કરવી પડે.
તેમના કહેવા મુજબ, એક વાસ્તવિક પ્રાદેશિક કેબલ હબ બનવા માટે ભારતને "સ્થિર નિયમન, ખુલ્લું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી રિપેર વ્યવસ્થા" જરૂરી છે. આવા જ વાતાવરણને કારણે સિંગાપોર સબમરીન કેબલો અને ડેટા ટ્રાફિક આકર્ષી શક્યું છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીનાં સહયોગી પ્રોફેસર પૂજા ભટ્ટ કહે છે કે આ વિસંગતિને અવગણવી દિવસે દિવસે વધુ મુશ્કેલ બની રહી છે.
"ભારતની યુવા વસ્તી અને 'ડિજિટલ ઇન્ડિયા'ની મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં લેતાં, સુરક્ષા અને વહીવટી હેતુઓ માટે દેશે પોતાનું ઇન્ટરનેટ માળખું ઊભું કરવું અને જાળવવું અર્થપૂર્ણ છે," તેઓ કહે છે.
ભારતે પહેલેથી જ એક પગલું ભર્યું છે: સરકારે હવે સબમરીન કેબલ સિસ્ટમ્સને મહત્ત્વપૂર્ણ ટેલિકૉમ્યુનિકેશન માળખા તરીકે ગણવાનું શરૂ કર્યું છે અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે તેમના મહત્ત્વને માન્યતા આપી છે.
સુંદરરાજન કહે છે કે આ દરજ્જાને કારણે ઝડપી મંજૂરીઓ, કટોકટીમાં સમારકામની વ્યવસ્થા અને ભારતમાં જ કેબલનું સમારકામ કરવાની ક્ષમતા ઊભી થવી જોઈએ. આ ઉપરાંત, કેબલનાં લૅન્ડિંગ સ્થળો અને માર્ગોની આસપાસ કાયદાકીય રક્ષણ ધરાવતા કેબલ ઝોન હોવા જોઈએ, જેમાં લંગર નાખવા અને ટ્રૉલિંગ પર નિયંત્રણ મૂકવામાં આવે.
ટૅક્નૉલૉજી પણ મદદરૂપ થઈ શકે છે.
'ડિસ્ટ્રિબ્યુટેડ એકાઉસ્ટિક સેન્સિંગ' નામની એક ટૅક્નૉલૉજી ઑપ્ટિકલ ફાઇબરને એવા સેન્સરમાં ફેરવી શકે છે, જે જહાજો, લંગર અથવા પાણીની અંદરનાં વાહનોને કારણે થતાં કંપનોને પારખી શકે છે – અને કેબલ કપાઈ જાય તે પહેલાં સંભવિત જોખમોને ઓળખી શકે છે.
પરંતુ તાત્કાલિક ઉકેલો કદાચ વધુ સામાન્ય બાબતોમાં રહેલા છે: વધુ લૅન્ડિંગ સ્ટેશનો, ભૌગોલિક વૈવિધ્યમાં વધારો, ઝડપી મંજૂરીઓ, સુરક્ષિત કેબલ માર્ગો અને ભારતમાં જ સમારકામ કરવાની ક્ષમતા.
"કનેક્ટિવિટી ઐતિહાસિક રીતે મુંબઈની આસપાસ કેન્દ્રિત રહી છે, કારણ કે ઇકોસિસ્ટમ, માળખું અને માગ પહેલેથી જ ત્યાં કેન્દ્રિત હતાં," ગુપ્તા કહે છે.
"પરંતુ આટલાં બધાં કેબલો એક જ વિસ્તારમાં કેન્દ્રિત હોવાં એ પોતે જ એક જોખમ છે. તેનાથી બચવા માટે ઉદ્યોગે આગોતરું આયોજન કરવું જરૂરી છે."
આ બદલાવની શરૂઆત થઈ ચૂકી છે.
ચાર નવાં સબમરીન કેબલ સિસ્ટમ્સ કાર્યરત કરવામાં આવી રહ્યાં છે અને વધુ ત્રણનું આયોજન છે. લાઇટસ્ટોર્મ એક કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહી છે, જે તેમાંથી એક, I-2SEA,નું નિર્માણ કરી રહ્યું છે. આ કેબલ ભારતને મલેશિયા અને સિંગાપોર સાથે જોડશે. આ સિસ્ટમનાં ભારતમાં બે લૅન્ડિંગ સ્થળો હશે. એક મછલીપટ્ટણમ ખાતે હશે, જ્યાંથી હૈદરાબાદ સુધીનો ટૂંકો સબમરીન માર્ગ મળશે. બીજું દક્ષિણ ચેન્નાઈમાં હશે, જે હાલના માર્ગોમાં વૈવિધ્ય ઉમેરશે.
જે દેશ અસાધારણ ઝડપે ડેટાનો વપરાશ કરી રહ્યો છે, તેના ડેટાનું વહન કરતું માળખું આશ્ચર્યજનક રીતે નાજુક છે. ભારત ડેટા સેન્ટરોની સંખ્યા વધારી રહ્યું છે અને એઆઈ કેન્દ્રિત ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યું છે. સવાલ એ છે કે તેના કેબલ, લૅન્ડિંગ સ્ટેશનો અને સમારકામની ક્ષમતા આ વૃદ્ધિ સાથે તાલ મિલાવી શકશે કે કેમ?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























