'આંખે પાટા બાંધીને મને પોલીસ ઉઠાવી ગઈ...', જંતર-મંતર પર લોકોને ખાવાનું પૂરું પાડનાર જુનૈદ સાથે શું થયું?

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
શનિવારે જ્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારે પહેલાં દિવસથી જ જંતર-મંતર પર હાજર રહેલા સ્વયંસેવક જુનૈદ હાજર નહોતા.
જુનૈદનો દાવો છે કે તે સમયે તેઓ દિલ્હી પોલીસની 'ગેરકાયદેસર કસ્ટડી'માં હતા અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી.
જુનૈદના દાવા અંગે દિલ્હી પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પોલીસનું નિવેદન ઉપલબ્ધ થતાં જ તેને અહીં સામેલ કરવામાં આવશે.
20 જૂને જંતરમંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન શરૂ થયું ત્યારથી જુનૈદ સતત ત્યાં હાજર હતા અને વિરોધમાં ભાગ લેનારા લોકો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા હતા.
જુનૈદનો આરોપ છે કે ઉત્તર પ્રદેશ પોલીસ તેના પરિવારના સભ્યોને પણ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પૂછપરછ કરી.
પોલીસ શું કહે છે?

ઇમેજ સ્રોત, Muhammad Junaid Insta
બીબીસી હિંદી સાથેની વાતચીતમાં ગાઝિયાબાદ પોલીસે તેના પરિવારની પૂછપરછ કરવાની વાત સ્વીકારી હતી પરંતુ તેમની અટકાયત કરવામાં નહોતી આવી એમ કહ્યું છે.
મેરઠ પોલીસે બીબીસીના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. દિલ્હી પોલીસે પણ જુનૈદની કથિત અટકાયત અંગેના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.
દરમિયાન, જુનૈદે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરજીમાં તેમણે આરોપ લગાવ્યો છે કે "જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા બદલ તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તેમના પરિવારને હેરાન કરવામાં આવ્યો હતો અને આ બધું કોઈપણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના કરવામાં આવ્યું હતું."
તેમણે કોર્ટ પાસે આ મામલાની સ્વતંત્ર તપાસ અને તેમના અને તેમના પરિવાર સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
આ ઘટના દરમિયાન, કૉક્રોચ જનતા પાર્ટીએ પણ જુનૈદથી અંતર બનાવી લીધું હતું. જોકે, હવે જુનૈદ કહે છે કે સીજેપી તેને મદદ કરી રહી છે.
બીબીસી સાથે વાત કરતાં જુનૈદે કહ્યું કે તેમનો કે તેમના પરિવારનો કોઈ ગુનાહિત રેકૉર્ડ નથી અને તેઓ ફક્ત પ્રદર્શનકારીઓને મદદ કરવા માટે જંતરમંતર પર ખાવાનું પૂરું પાડી રહ્યા હતા.
પરિવારની પૂછપરછના દાવા

ઇમેજ સ્રોત, Muhammad Junaid Insta
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જુનૈદના જણાવ્યા મુજબ, 23 અને 24 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ પોલીસ તેના ઘરે પહોંચી અને તેના પિતાને પૂછપરછ માટે લઈ ગઈ.
તેમનો દાવો છે કે ઘરમાંથી બૅન્ક પાસબુક, આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ લઈ જવામાં આવ્યા હતા.
જુનૈદના જણાવ્યા મુજબ, તેમને મોડી રાત્રે છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ બીજા દિવસે પૂછપરછ માટે ફરીથી બોલાવવામાં આવ્યો હતો.
જુનૈદનો આરોપ છે કે પાછળથી તેમની બહેનના સસરા અને તેમના સાળા કે જેઓ મેરઠમાં રહે છે, તેમને પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા.
જ્યારે આ બધું તેના પરિવાર સાથે થઈ રહ્યું હતું, ત્યારે જુનૈદ પોતે જંતર-મંતર પર હાજર હતા અને પ્રદર્શનકારીઓને ભોજનનું વિતરણ કરી રહ્યા હતા.
જુનૈદે કહ્યું કે 24 જુલાઈની રાત્રે જંતર-મંતર પર તેમને કૂતરું કરડી ગયું હતું. તેઓ સારવાર માટે એક સાથી સાથે દિલ્હીની રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં ગયા હતા.
તેમના કહેવા મુજબ, સારવાર પછી હૉસ્પિટલમાંથી પાછા ફર્યાના થોડા સમય પછી એક સફેદ સ્કોર્પિયો તેમની રિક્ષાની સામે સામે આવીને ઊભી રહી.
જુનૈદનો આરોપ છે કે કારમાંથી નીચે ઊતરેલા લોકોએ પોતાને દિલ્હી પોલીસ અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા.
તેમનું કહેવું છે કે તેઓ સાદાં કપડાંમાં હતા. વાહન પર કોઈ નંબર પ્લૅટ નહોતી અને તેમને કોઈ વૉરન્ટ કે લેખિત ઑર્ડર બતાવવામાં આવ્યો ન હતો.
બીબીસી આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શક્યું નથી.
'આંખે પટ્ટી બાંધીને લઈ ગયા'
જુનૈદનો આરોપ છે કે તેમને અને તેમના સાથીને બળજબરીથી વાહનમાં બેસાડ્યા પછી, તેમની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી અને તેમના બંનેના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે તેમને એક અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની બીજા દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
જુનૈદના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન તેમને વારંવાર પૂછવામાં આવ્યું કે તે ગાઝિયાબાદથી જંતર-મંતર કેમ આવે છે અને પ્રદર્શનકારીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે પૈસા ક્યાંથી આવે છે?
તેમણે કહ્યું કે તેમણે જવાબ આપ્યો કે ભોજનની વ્યવસ્થા વિવિધ લોકો અને સંસ્થાઓની સ્વૈચ્છિક મદદથી કરવામાં આવી રહી છે.
તેમના મતે, કોઈ ઑનલાઇન ફૂડ ડિલિવરી દ્વારા ખોરાક મોકલી રહ્યું હતું, ખેડૂત સંગઠનો ખાવાનું મોકલી રહ્યાં હતાં અને ગુરુદ્વારાઓમાંથી લંગર પણ પહોંચાડવામાં આવી રહ્યું હતું.
'છેક ઉત્તરાખંડમાં છોડી દીધો'

ઇમેજ સ્રોત, Muhammad Junaid Insta
જુનૈદ કહે છે કે પૂછપરછ પછી, તેમને ઘણા કલાકો સુધી વાહનમાં જ ફેરવવામાં આવ્યા અને પછી સાંજે ઉત્તરાખંડના દેહરાદૂન નજીક કોઈ અજાણ્યા સ્થળે છોડી દેવામાં આવ્યા.
તેમના કહેવા મુજબ, છોડતી વખતે તેમને કહેવામાં આવ્યું હતું કે થોડી મિનિટો માટે આંખ પરથી પટ્ટી ન ઊતારવી અને એક કલાક પછી જ મોબાઇલ ફોન ચાલુ કરવો.
જુનૈદના કહેવા મુજબ, તેમણે શરૂઆતમાં આ ઘટના વિશે કોઈને કહ્યું નહીં કારણ કે. તેમને ફરીથી અપહરણ થવાનો ડર હતો. બાદમાં, તેમણે પોતાની સાથે જે બન્યું તેને જાહેર કરવાનું નક્કી કર્યું.
વિરોધપ્રદર્શન માટે ભંડોળના પ્રશ્ન અંગે જુનૈદે કહ્યું કે તેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ કોઈની પાસેથી રોકડ કે ઑનલાઇન નાણાકીય સહાય લેશે નહીં અને કોઈ QR કોડ પણ જાહેર નહીં કરે.
તેમણે કહ્યું કે આ હેતુ માટે તેમના બૅન્કખાતામાં કોઈ પૈસા આવ્યા નથી અને જો તપાસ એજન્સીઓ ઇચ્છે તો તેઓ તેમના રેકૉર્ડ ચકાસી શકે છે.
જુનૈદ દાવાઓના પુરાવા વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, Muhammad Junaid Insta
જુનૈદનું કહેવું છે કે અટકાયત દરમિયાન તેમની પાસે મૉબાઇલ ફોન નહોતો.
તેમણે દાવો કર્યો હતો કે તેમને છોડાયા એ પછી તેમણે તે વિસ્તારની નજીક સ્થિત પોલીસસ્ટેશનનો ફોટો લીધો હતો જ્યાં તેમને છોડવામાં આવ્યા હતા.
તેઓ કહે છે કે તેની પાસે રામમનોહર લોહિયા હૉસ્પિટલની સ્લિપ અને દિલ્હી પાછા ફરવાનું ટૅક્સીનું બિલ પણ છે.
બીબીસીએ આ ડૉક્યુમેન્ટ્સ જોયાં છે.
જુનૈદે કહ્યું કે જ્યારે તેમને કથિત રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર મળ્યા.
તેમણે કહ્યું કે તેમને લાગે છે કે જો તેમના સંઘર્ષથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે છે, તો એ તેમના માટે ખુશીની વાત હશે.
જુનૈદનું કહેવું છે કે તેઓ ભવિષ્યમાં પણ આવા આંદોલનોમાં ભાગ લેવાનું ચાલુ રાખશે.
કાયદાનો અભ્યાસ કરી રહેલા જુનૈદે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માંગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























