સૌરવ દાસે કહ્યું - 'બિહાર અને આસામ સરકારે પ્રદર્શનકારીઓ સામેની એફઆઇઆર પાછી ખેંચવાની ગૅરંટી આપી' - ન્યૂઝ અપડેટ

બિહાર અને આસામ સરકારે પ્રદર્શનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવાની ગેરંટી આપી

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે બિહાર અને આસામ સરકારે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ એફઆઇઆર પાછી ખેંચવાની ખાતરી આપી છે.

સૌરવ દાસે 27 જુલાઈના રોજ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સ પછી સરકારી પ્રતિનિધિઓ તેમને અને તેમના સાથીદારોને મળ્યા હતા.

સૌરવ દાસે કહ્યું, "સરકારી પ્રતિનિધિઓ સાથેની બેઠક બેથી ત્રણ કલાક ચાલી. તેમણે બિહાર અને આસામ સરકારના નોટિફિકેશનની નકલો શૅર કરી, જેમાં પ્રદર્શનકારીઓ સામે દાખલ કરાયેલી તમામ એફઆઇઆર પાછી ખેંચવાની ગૅરંટી આપવામાં આવી હતી."

"તેમાં તે પણ જણાવાયું છે કે ભવિષ્યમાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તે અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત કરવાની પણ માગ કરે છે."

"તેમણે અમને ગૅરંટી આપી છે કે કેન્દ્ર સરકાર અને અન્ય ભાજપ અને એનડીએ શાસિત રાજ્યો તરફથી ગૅરંટી સૂચનાઓ આવતી કાલ સુધીમાં જાહેર કરવામાં આવશે. આશા છે કે સંમતિ મુજબની ભાષાનો ઉપયોગ કરવામાં આવશે."

"કોઈ પણ પ્રદર્શનકારીને એકલો નહીં છોડવામાં આવે. અમે બધા આ લડાઈમાં સાથે છીએ."

ટ્રમ્પનો દાવો- ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા, ઈરાને શું કહ્યું?

ટ્રમ્પનો દાવો- ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા, બીબીસી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અંગે ખૂબ જ મૈત્રીભાવે વાતચીત ચાલી રહી છે.

સતત ત્રીજા દિવસે બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો નથી.

ટ્રમ્પે સોમવારે ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું "મને લાગે છે કે આ યુદ્ધનો અંત લાવવાની સારી તક છે."

જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો આ વાટાઘાટ નિષ્ફળ જાય, તો અમેરિકા ફરીથી એ જ પગલાં શરૂ કરશે જે તે યુદ્ધવિરામ પહેલાં લઈ રહ્યું હતું.

બીજી તરફ, ઈરાને અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે તેમણે શુક્રવારે ઈરાન પરના અમેરિકાના હુમલાઓ અટકાવી દીધા, કારણ કે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરનારા દેશોએ વાટાઘાટ માટે બીજી તકની વિનંતી કરી હતી.

ઈરાને પણ હાલ પૂરતા પોતાના હુમલા બંધ કરી દીધા છે.

આ વિરામ લગભગ બે અઠવાડિયાં સુધી રોજ ચાલેલા અમેરિકાના હુમલાઓ અને ઈરાનની જવાબી કાર્યવાહી પછી આવ્યો છે.

આ હુમલાઓએ જૂનમાં થયેલા યુદ્ધવિરામ કરારને લગભગ સંપૂર્ણપણે રદ કરી દીધો હતો.

તે સમયે અમેરિકાના સૈન્યે કહ્યું હતું કે તેના હુમલાઓનો હેતુ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં કૉમર્શિયલ જહાજો માટે ખતરો ઊભો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન