Live, અમદાવાદ: ખાડિયામાં મોટો ઉલટફેર, કૉંગ્રેસની આખી પેનલ જીતી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો જળવાઈ રહેશે કે કૉંગ્રેસ-આપ ખેલ બગાડશે? ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

સારાંશ

  • 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ
  • ગુજરાતની 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત્
  • ઘણી નગરપાલિકાઓ, પંચાયતોમાં કૉંગ્રેસનું સારું પ્રદર્શન, આપે સૌરાષ્ટ્રમાં ઘણી બેઠકો જીતી
  • સુરતમાં આમ આદમી પાર્ટી 2021નું પ્રદર્શન જાળવી શકી નહીં

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. અમદાવાદ: ખાડિયામાં મોટો ઊલટફેર, કૉંગ્રેસની આખી પેનલ જીતી

    ખાડિયામાં જીત પછી ભાવુક થઈ ગયેલાં કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, ખાડિયામાં જીત પછી ભાવુક થઈ ગયેલાં કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર

    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઊલટફેર થયો છે. વર્ષોથી ‘ભાજપનો ગઢ’ ગણાતા ખાડિયા વિસ્તારમાં ભાજપનો પરાજય થયો છે.

    વૉર્ડ નં.28માં કૉંગ્રેસનાં ચારેય ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.

    કૉંગ્રેસનાં ધ્રુવ કલાપી, મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ, બિરજુબહેન ઠક્કર અને મીનાબહેન નાયકે વિજય મેળવ્યો હતો.

    બીબીસી સાથેની વાતચીતમાં મોહમ્મદ પઠાણે કહ્યું હતું કે, “સ્થાનિકો ખૂબ પરેશાન હતા. અમારી ટીમની મહેનતથી, પ્રચારથી આ વિજય મળ્યો છે. ભાજપે હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાનનો મુદ્દો બનાવવાની કોશિશ કરી, જે લોકોને પસંદ ન પડ્યું.”

    તેમણે કહ્યું હતું, “મતપેટીમાંથી ઇલિયાસના નામના મત નીકળતા હતા અને હિન્દુભાઈઓ ખુશ થતા હતા. આ જ અસલી હિન્દુસ્તાન છે.”

    અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે, “ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. જો ભાજપ નહીં આવે તો આવું થશે.”

    કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર બિરજુબહેને કહ્યું હતું કે, “કૉંગ્રેસના કાર્યકર્તાઓ આ સ્વપ્ન 30 વર્ષથી જોઈ રહ્યા હતા. આ ખાડિયાની બહેનોની જીત છે, જેમને રોજિંદા જીવનમાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી.”

    કૉંગ્રેસના મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ
  2. કેશોદ: મતગણતરીમાં ટાઈ થઈ અને ચિઠ્ઠી ઉછળી, ભાજપની હાર કેવી રીતે થઈ?

    ચિઠ્ઠીથી જ્યારે વિજેતા ઉમેદવાર નક્કી થયા

    ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

    ઇમેજ કૅપ્શન, ચિઠ્ઠીથી જ્યારે વિજેતા ઉમેદવાર નક્કી થયા

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પંચાયતની ઘસારી મોટી બેઠક પર એક રસપ્રદ ઘટના બની છે.

    મતગણતરી દરમિયાન ભાજપ અને આપના ઉમેદવારોને એકસમાન 1191 મત મળ્યા હતા. ભાજપના રમેશ ગરેજા અને આમ આદમી પાર્ટીના યશવંતસિંહ રાયજાદાને સમાન મત મળ્યા હતા.

    બીબીસી સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર, ટાઈની સ્થિતિમાં ચૂંટણીપંચના નિયમ મુજબ વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજયી થયા હતા.

    કેશોદની તાલુકા પંચાયતમાં કેવદ્રા, અગતરાય, અજાબ 1, અજાબ 2, બાલાગામ, બડોદર, કણેરી, પાડોદર, મેસવાણમાં ભાજપના ઉમેદવારો જીત્યા હતા. તો કૉંગ્રેસના ઉમેદવારો મોવાણા, માણેકવાડા, ખીરસરા અને ખમીદાણામાં જીત્યા હતા.

  3. કડી નગરપાલિકા: ‘બિનહરીફ’ ન થઈ એ તમામ બેઠકો કૉંગ્રેસે જીતી લીધી

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Nitin Patel/FB

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    કડી નગરપાલિકાની ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે. એ અનુસાર, 36 બેઠકોમાંથી 28 બેઠકો પર ભાજપની જીત થઈ છે તથા આઠ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

    આ 28 બેઠકો ચૂંટણી થાય એ પહેલાં જ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી.

    જે આઠ બેઠકો પર ચૂંટણી થઈ તે તમામ આઠ બેઠકો કૉંગ્રેસે જીતી લીધી છે.

    કડીના વૉર્ડ નં.2 અને વૉર્ડ નં.5માં જ મતદાન થયું હતું અને એ બધી બેઠકો કૉંગ્રેસે જીતી લીધી છે.

  4. મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ 52 બેઠકો જીતી

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપે તમામ 52 બેઠકો પર જીત મેળવી છે.

    રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, તમામ 13 વૉર્ડમાં ભાજપની પેનલ ચૂંટાઈ છે, જે એક રેકૉર્ડ છે.

    કૉંગ્રેસ કે અન્ય પક્ષો મોરબી મહાનગરપાલિકામાં એક પણ બેઠક જીતી શક્યા નથી.

    અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મહાનગરપાલિકાઓનાં જાહેર થયેલાં પરિણામો અનુસાર ભાજપે 415 બેઠકો પર અને કૉંગ્રેસે 20 બેઠકો પર જીત મેળવી છે. અન્યના ફાળે ચાર બેઠકો ગઈ છે.

  5. સુરેન્દ્રનગર: આપ છોડીને ભાજપમાં ગયેલા રાજુ કરપડા બનશે જિલ્લા પંચાયતના સભ્ય, મૂળીમાં વિજય

    રાજુ કરપડા

    ઇમેજ સ્રોત, Raju Karpada/FB

    ઇમેજ કૅપ્શન, રાજુ કરપડા

    આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા રાજુ કરપડા મૂળી-2 બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે.

    સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર તેમનો 2533 મતે વિજય થયો છે.

    આ સાથે જ હવે રાજુ કરપડા જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે.

    રાજુ કરપડા 2022માં આમ આદમી પાર્ટી તરફથી ચોટીલા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બીજા ક્રમે રહ્યા હતા.

    જીત બાદ રાજુ કરપડાએ મતદારો અને ભાજપના સંગઠનનો આભાર માન્યો હતો.

  6. ભેંસાણ: આપ છોડીને ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીની હાર

    ભૂપત ભાયાણી

    ઇમેજ સ્રોત, Bhupendrabhai Bhayani/FB

    ઇમેજ કૅપ્શન, ભૂપત ભાયાણી

    જૂનાગઢ જિલ્લાની ભેંસાણ જિલ્લા પંચાયત પરથી ચૂંટણી લડી રહેલા આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણીની મોટી હાર થઈ છે.

    આમ આદમી પાર્ટીના દિલસુખ રૂપારેલિયાએ તેમને હરાવી દીધા છે.

    આપના દિલસુખભાઈને 8892 મત મળ્યા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી વીસાવદરના ધારાસભ્ય તરીકે 2022ની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ ભાજપમાં ભળી ગયા હતા.

    ભાજપે તેમને ભેંસાણ જિલ્લા પંચાયતમાંથી ટિકિટ આપી હતી. તેમની ત્યાં પણ હાર થઈ છે.

    જૂનાગઢની જિલ્લા પંચાયતોમાં કુલ 30 બેઠકમાંથી ભાજપને 20 બેઠકો મળી છે, જ્યારે આપને છ બેઠકો મળી છે. હજુ ચાર બેઠકો પર મતગણતરી ચાલુ છે એમ બીબીસી સહયોગી હનીફ ખોખરે જણાવ્યું હતું.

  7. સુરત: આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયાની હાર

    મનોજ સોરઠિયા

    ઇમેજ સ્રોત, Manoj Sorathiya/FB

    ઇમેજ કૅપ્શન, મનોજ સોરઠિયા

    સુરતમાં વૉર્ડ નં.4 કાપોદ્રામાંથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ છે.

    અહીં ચારેય બેઠકો પર ભાજપની જીત થઈ છે.

    ભાજપના ચાર ઉમેદવારોને અનુક્રમે 15935, 15651, 17661, 16244 મત મળ્યા છે.

    બપોરે એક વાગ્યા સુધીમાં જાહેર થયેલાં પરિણામોમાં હજુ સુરતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી શક્યું નથી.

    કૉંગ્રેસને અત્યાર સુધીમાં સુરતમાં એક બેઠક મળી છે.

  8. દ્વારકા: જામરાવળ નગરપાલિકામાં કૉંગ્રેસે સત્તા કબજે કરી, ભાજપનો સફાયો

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દ્વારકા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.

    દ્વારકાની જામરાવળ નગરપાલિકામાં કૉંગ્રેસે છ વૉર્ડની કુલ 24માંથી 21 બેઠકો જીતીને નગરપાલિકાની સત્તા કબજે કરી લીધી છે.

    અહીં માત્ર ત્રણ બેઠકો ભાજપે જીતી છે.

    બીબીસી સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, અહીં પહેલાં ભાજપનો દબદબો હતો.

    ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, અહીં કૉંગ્રેસે જીત મેળવી છે અને 21 બેઠકો કબ્જે કરી છે.

  9. અમરેલી: ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરની હાર

    માયાભાઈ આહીરનાં દીકરી સોનલબહેન ડેર
    ઇમેજ કૅપ્શન, માયાભાઈ આહીરનાં દીકરી સોનલબહેન ડેર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ઉલટફેર, તો ઘણી જગ્યાએ ચોંકાવનારાં પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.

    લાઠીની તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરની હાર થઈ છે.

    અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ તેની પુષ્ટિ કરી છે.

    આ બેઠક પર કૉંગ્રેસના શાંતાબહેન ડેર વિજેતા થયાં છે.

    કૉંગ્રેસના ઉમેદવાર શાંતાબહેન ડેરના દીકરાએ તેમની વતી જનતાનો આભાર માન્યો હતો.

  10. મહાનગરપાલિકાના પરિણામો: અત્યાર સુધીમાં કોણે કેટલી બેઠકો જીતી?

    અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપની વિજેતા પેનલ

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપની વિજેતા પેનલ

    રાજ્ય ચૂંટણીપંચના આંકડા અનુસાર, 15 મહાનગરપાલિકાઓમાં બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપે 185, કૉંગ્રેસે સાત બેઠકો જીતી છે. જ્યારે અન્યના ફાળે ચાર બેઠકો ગઈ છે.

    રાજકોટમાં આઠ બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં આઠેય બેઠકો ભાજપે જીતી છે.

    અમદાવાદમાં 12 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં બારેય બેઠકો ભાજપે જીતી છે.

    જામનગર, ભાવનગરમાં ચાર-ચાર બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે અને એ તમામ બેઠકો પણ ભાજપે જીતી છે.

    વાપીમાં 47 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં કૉંગ્રેસે સાત બેઠકો જીતી છે.

  11. રાજકોટ: જંગલેશ્વરમાં જ્યાં હજારો મકાનો પાડી દેવાયાં હતાં ત્યાં ભાજપની હાર

    કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો

    રાજકોટના વૉર્ડ નં.16 જંગલેશ્વરમાં કૉંગ્રેસની પેનલની જીત થઈ છે. ગત ચૂંટણીમાં આ વૉર્ડ ભાજપના ફાળે ગયો હતો.

    અહીં ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં થોડા સમય અગાઉ ડિમોલિશન થયું હતું અને હજારો ઘર-દુકાનો પાડી દેવામાં આવ્યાં હતાં.

    અહીંથી કૉંગ્રેસના ઉમેદવારો અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, દિપ્તીબેન સોલંકી અને રસીલાબેન ગરૈયાની જીત થઈ છે.

    વિજેતા ઉમેદવાર રસીલાબહેન ગરૈયાએ કહ્યું હતું કે, “મારો ગત ચૂંટણીમાં માત્ર 11 મતે પરાજય થયો હતો. આ વખતે હું સારા મતે જીતી છું. અમે લોકોના કામ કરવા માટે પૂરી મહેનત કરીશું.”

    દિપ્તીબહેન સોલંકીએ કહ્યું હતું કે, “રાજકોટના વૉર્ડ નં.16ના અઢારે વર્ણના લોકોના મતથી અમારી જીત થઈ છે. અમે લોકોનો ભરોસો નહીં તૂટવા દઈએ. જેમનાં મકાનો પડી ગયા છે તેમને ક્વાર્ટર અપાવવા માટે અમે મહેનત કરીશું.”

    કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર દિપ્તીબેન સોલંકી

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર દિપ્તીબેન સોલંકી
  12. ભુજ નગરપાલિકામાં AIMIMની ઍન્ટ્રી, ત્રણ બેઠકો પર વિજય

    એઆઈએમઆઈએમના સમર્થકો

    ઇમેજ સ્રોત, ashutosh

    ઇમેજ કૅપ્શન, એઆઈએમઆઈએમના સમર્થકો

    ભુજ નગરપાલિકામાં અત્યાર સુધીમાં 14 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે.

    કુલ 44 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપને ફાળે 10, કૉંગ્રેસના ફાળે એક તથા એઆઈએમઆઈએમના ફાળે ત્રણ બેઠકો ગઈ છે.

    બીબીસી સહયોગી આશુતોષે આપેલી માહિતી અનુસાર, ભુજ નગરપાલિકાના વૉર્ડ નં. 1માં એઆઈએમઆઈએમના ત્રણ ઉમેદવાર વિજયી બન્યા છે.

    સરફરાજ જીએજા, મુખ્તાર સમા, રોશન સિદ્ધિ વિજેતા ઉમેદવારો છે.

  13. ધારી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની ત્રણ બેઠકો પર જીત

    ધારી નગરપાલિકાના વૉર્ડ નં.1 માં આમ આદમી પાર્ટીએ ત્રણ બેઠકો પર જીત મેળવી છે.

    બાકીની એક બેઠક ભાજપને ફાળે ગઈ છે.

    અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ આપેલી માહિતી અનુસાર,

    આમ આદમી પાર્ટીના જગદીશ પટોળિયા, કિરણ સાવલિયા અને સરોજબહેન બારૈયાને અનુક્રમે 971, 945 અને 817 મત મળ્યા છે. જ્યારે ભાજપના ગૌતમ દાફડાને 884 મત મળ્યા છે.

  14. ગુજરાત: તાલુકા, જિલ્લા પંચાયતોની બેઠકોના પરિણામો આવવાની શરૂઆત

    ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારની એકસાથે તસવીર

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારની એકસાથે તસવીર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે.

    બીબીસી સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી અનુસાર, ગોધરા નગરપાલિકાની 44માંથી ચાર બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે.

    આ સિવાય હાલોલ તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપની જીત થઈ છે.

    અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ આપેલી માહિતી અનુસાર, લાઠી તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર પણ ભાજપની જીત થઈ છે.

    કોઠંબા તાલુકા પંચાયત ભોજા બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે.

  15. ભાજપ માટે મોટો પડકાર, શું 2021નું પર્ફૉર્મન્સ રિપીટ કરી શકશે?

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકાઓમાં એકતરફી જીત મેળવી હતી.

    સુરત સિવાય લગભગ દરેક મહાનગરપાલિકામાં ભાજપને એકતરફી જીત મળી હતી. રાજકોટમાં તો ભાજપે 72માંથી 68 બેઠકો જીતી હતી.

    એ સમયે કોરોના વાઇરસની લહેર ચાલી રહી હતી, તેમ છતાં ભાજપે મોટી જીત મેળવી હતી.

    આ સંદર્ભમાં 2026માં ભાજપ આ પર્ફૉર્મન્સ રિપીટ કરી શકશે કે નહીં તેના પર સૌની નજર છે.

    ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના નેતૃત્વમાં પહેલી વાર ભાજપ ચૂંટણી લડી રહ્યો છે. આથી, તેમના નેતૃત્વમાં પ્રદર્શનની પણ ચર્ચા થશે.

  16. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ

    રાજકોટમાં મતગણતરી પહેલાંની એક તસવીર

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, રાજકોટમાં મતગણતરી પહેલાંની એક તસવીર
    રાજકોટમાં મતગણતરીકેન્દ્રની એક તસવીર

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, રાજકોટમાં મતગણતરીકેન્દ્રની એક તસવીર

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026નું આજે પરિણામ આવી રહ્યું છે.

    થોડીવારમાં જ મતપેટીઓ ખુલશે અને ગણતરી શરૂ થશે. સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી થઈ રહી છે.

    અમદાવાદમાં બે કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી થશે. આ સિવાય જે-તે જિલ્લામાં પણ કાઉન્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

  17. સુરેન્દ્રનગરમાં કુલ 939 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે

    સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થશે.

    ઇમેજ સ્રોત, sachin pithva

    ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થશે

    સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થશે.

    બીબીસીના સહયોગી સચીન પીઠવા અનુસાર, શહેરી વિસ્તાર સહિત જિલ્લામાં 30થી વધુ સ્થળો પર મતગણતરી કરવામાં આવશે.

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વૉર્ડ માટે શહેરની આર્ટસ કૉલેજ અને વઢવાણ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત બેઠકો માટે મહિલા આઇટીઆઇ ખાતે મતગણતરી થશે.

    ફુલ 338 બેઠકો માટે ગત 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું. પરિણામ બાદ આજે કુલ 939 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે.

  18. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. વલ્લભવિદ્યાનગરની નલિની આર્ટ્સ કૉલેજમાં મતગણતરી થશે.

    બીબીસીના સહયોગી નચિકેત મહેતા અનુસાર, શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

    તેમણે આપેલી માહિતી અનુસાર, મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 40 બેઠકો પર 100 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે 13 વૉર્ડની 52 બેઠકો પૈકી 12 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.

    તો જિલ્લા પંચાયતની 37 બેઠકો પર 98 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થશે. આણંદ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં પર 64 ઉમેદવારો, આંકલાવ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 51 ઉમેદવારો, બોરસદ તાલુકા પંચાયતની 34 બેઠકો માટે 83 ઉમેદવારો, ખંભાત તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 52 ઉમેદવારો, પેટલાદ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 52 ઉમેદવારો, સોજિત્રા તાલુકા પંચાયતની 15 બેઠકો માટે 32 ઉમેદવારો, તારાપુર તાલુકા પંચાયતની 14 બેઠકો માટે 35 ઉંમેદવારો અને ઉમરેઠ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 47 ઉમેદવારોના રાજકીય ભાવીનો આજે નિર્ણય થશે.

  19. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    આજે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

    ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

    રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર મહાનગરપાલિકાઓમાં સરેરાશ 55.1 ટકા મતદાન નોંધાયું હતું.

    કુલ 15 મહાનગરપાલિકાઓમાંથી નવ મહાનગરપાલિકાઓ નવી બનેલી છે અને તેમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી વાર મતદાન થયું છે.

    અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર- આ છ જૂની મહાનગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે.

    આ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે 2021ની ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી હતી.

    આ વખતે આ છ મહાનગરપાલિકાઓ સિવાય નવી અસ્તિત્વમાં આવેલી નવ મહાનગરપાલિકામાં પણ પહેલી વાર ચૂંટણી છે. આથી, આ મહાનગરપાલિકાઓમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે.

    અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ભાજપને મોટા માર્જિનથી જીત મળી હોવાથી એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ આટલું મોટું જીતનું અંતર જાળવી શકે છે કે પછી વિપક્ષો ટક્કર આપશે.

    ગત ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત ઍન્ટ્રી થઈ હતી અને પહેલી જ વારમાં તેણે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કૉંગ્રેસની જગ્યા લઈ લીધી હતી. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેકઠેકાણે સત્તાધારી પક્ષ ભાજપનો થયેલો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

    ભાજપના ઉમેદવારોના વિરોધના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

    મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.

    એટલે કે ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં જ જીતી લીધી હતી.