અમદાવાદ: ખાડિયામાં મોટો ઊલટફેર, કૉંગ્રેસની આખી પેનલ જીતી

ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઊલટફેર થયો છે. વર્ષોથી ‘ભાજપનો ગઢ’ ગણાતા ખાડિયા વિસ્તારમાં ભાજપનો પરાજય થયો છે.
વૉર્ડ નં.28માં કૉંગ્રેસનાં ચારેય ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.
કૉંગ્રેસનાં ધ્રુવ કલાપી, મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ, બિરજુબહેન ઠક્કર અને મીનાબહેન નાયકે વિજય મેળવ્યો હતો.
બીબીસી સાથેની વાતચીતમાં મોહમ્મદ પઠાણે કહ્યું હતું કે, “સ્થાનિકો ખૂબ પરેશાન હતા. અમારી ટીમની મહેનતથી, પ્રચારથી આ વિજય મળ્યો છે. ભાજપે હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાનનો મુદ્દો બનાવવાની કોશિશ કરી, જે લોકોને પસંદ ન પડ્યું.”
તેમણે કહ્યું હતું, “મતપેટીમાંથી ઇલિયાસના નામના મત નીકળતા હતા અને હિન્દુભાઈઓ ખુશ થતા હતા. આ જ અસલી હિન્દુસ્તાન છે.”
અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે, “ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. જો ભાજપ નહીં આવે તો આવું થશે.”
કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર બિરજુબહેને કહ્યું હતું કે, “કૉંગ્રેસના કાર્યકર્તાઓ આ સ્વપ્ન 30 વર્ષથી જોઈ રહ્યા હતા. આ ખાડિયાની બહેનોની જીત છે, જેમને રોજિંદા જીવનમાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી.”

ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC


















