You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થઈ રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?
આજે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
આ વખતનો ચૂંટણીપ્રચાર સામાન્ય કરતાં વિશેષ રહ્યો હતો, તેમાં ઘણી બધી બેઠકો પર ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં, ત્યારે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તા પક્ષનો લોકો દ્વારા વ્યાપક વિરોધ પણ જોવા મળ્યો હતો.
જો કે, ચૂંટણી પહેલાં જ ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે જીતી લીધી હતી.
મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
એક બાજુ બેઠકો બિનહરીફ થવાની વાત છે, તો બીજી તરફ એવાં પણ કેટલાંક બેઠકો અને વૉર્ડ છે, જ્યાં ભાજપના ઉમેદવારોએ પ્રજાના 'ઉગ્ર વિરોધ'નો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે, ઉલ્લેખનીય છે કે, કાલે યોજાનાર ચૂંટણીનાં પરિણામો 28મી એપ્રિલે જાહેર થશે.
ત્યારે તંત્ર તરફથી પણ સુરક્ષા અને શાંતિ વચ્ચે મતદાન તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેટલું થયું મતદાન નોંધાયું?
બીબીસી ગુજરાતીના કચ્છ ખાતેના સહયોગી આશુતોષના જણાવ્યા પ્રમાણે સવારે દસ વાગ્યાની આસપાસ મળેલી માહિતી મુજબ કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકામાં 4.21 ટકા, નખત્રાણા નગરપાલિકામાં 11.61 ટકા, મુન્દ્રા-બારોઈ નગરપાલિકામાં 11.25 ટકા, માંડવી નગરપાલિકામાં 9.30 ટકા, અંજાર નગરપાલિકામાં 7.90 ટકા અને ભુજ નગરપાલિકામાં 7.06 ટકા મતદાન નોંધાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વૉર્ડમાં સવારના દસ વાગ્યે મળેલી માહિતી પ્રમાણે 6.55 ટકા મતદાન નોંધાયું છે, એમ બીબીસી સહયોગી સચીન પિઠવા જણાવે છે.
સવારના સાત વાગ્યાથી શરૂ કરીને નવ વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લાની છ નગરપાલિકામાં કુલ 7.16 ટકા મતદાન નોંધાયું હોવાનું બીબીસી ગુજરાતીના સહયોગી કેતન પટેલ જણાવે છે. જ્યારે મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વૉર્ડમાં બે કલાકમાં 9.16 ટકા મતદાન નોંધાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે નવ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનના આંકડા આવી ગયા છે. બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે જિલ્લા પંચાયતમાં સરેરાશ 13.26 ટકા, પાલનપુર નગરપાલિગામાં 7.70 ટકા, ડીસા નગરપાલિગામાં 7.72 ટકા ધાનેરા નગરપાલિકામાં 14.20 ટકા મતદાન નોંધાયું છે.
તાલુકા પંચાયતોની વાત કરીએ તો પાલનપુરમાં 10.28, વડગામમાં 13.89, દાંતામાં 16.87, અમીરગઢઝમાં 9.24, દાંતીવાડામાં 12.97, ડીસામાં 14.94, કાંકરેજમાં 14.89, ધાનેરામાં 13.53, ઓગડમાં 14.95 અને હડાદમાં 17.08 ટકા મતદાન નોંધાયું છે.
પંચમહાલ જિલ્લા પંચાયતની વાત કરીએ તો બીબીસી સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે સવારે નવ વાગ્યા સુધીમાં સરેરાશ 12.28 ટકા મતદાન નોંધાયું છે,જ્યારે કે પંચમહાલની વિવિધ તાલુકા પંચાયતોની વાત કરીએ તો મોરવા હડફમાં 11.48, શહેરામાં 11.44, હાલોલમાં 13.16, ગોધરામાં 13.15, કાલોલમાં 10.27, જાંબુઘોડામાં 16.27 અને ઘોઘંબામાં 13.20 ટકા મતદાન નોંધાયું છે.
સુરતથી બીબીસી ગુજરાતી સહયોગી રૂપેશ સોનાવણે જણાવે છે કે સુરત મહાનગરપાલિકા માટે સવારે નવ વાગ્યા સુધીમાં સરેરાશ 6.89 ટકા મતદાન થયું છે જ્યારે કે સુરત જિલ્લા પંચાયત માટે સરેરાશ 10.73 ટકા મતદાન નોંધાયું છે.
આણંદમાં નેતાઓ પર કથિત હુમલો, કૉંગ્રેસ-ભાજપના એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ
શનિવારે રાત્રે આણંદ ખાતે આંકલાવ પાલિકાના કારોબારી સભ્યને માર મરાયાનો મામલો સામે આવ્યો છે. તેમની ગાડીને પણ નુકસાન પહોંચાડાયાની વાત સામે આવી રહી છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી નચિકેત મહેતાના જણાવ્યા અનુસાર, "રાત્રે રસ્તા વચ્ચે રોકી, અહીં 'અમારા વિસ્તાર માં કેમ આવો છો કહી ઢોર માર માર્યા'નો આક્ષેપ કરાઈ રહ્યો છે. ઘટના બાદ મામલો આંકલાવ પોલીસમથકે પહોંચ્યો હતો."
પોલીસ ફરિયાદમાં કૉંગ્રેસ ઉમેદવાર મનુભાઈ પઢિયાર અને અન્ય ત્રણ વ્યક્તિઓ આ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ કરાયો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત શનિવારે મોડી રાત્રે આણંદ વૉર્ડ નં. 13ના ઉમેદવાર હર્શિલ દવે પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
નચિકેત મહેતાના જણાવ્યા પ્રમાણે, "કૉંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવેનું કહેવું છે કે ચૂંટણી પહેલાં દારૂ વહેંચાતું હોવાનું માલૂમ પડતાં ઘટનાસ્થળે પહોંચતાં તેમના પર કેટલાક લોકોએ કથિતપણે 'જીવલેણ હુમલો' કર્યો હતો."
બીબીસી ગુજરાતી કૉંગ્રેસના ઉમેદવારના આરોપોની ખરાઈ કરી શક્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બીજી તરફ કૉંગ્રેસના ઈજાગ્રસ્ત ઉમેદવારને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, તેમણે ઘટના અંગે જાહેર થયેલા વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પર 'ભાજપના લોકોએ હુમલો કર્યો' હતો.
ભાજપે આ મામલે હજુ પ્રતિક્રિયા આપી નથી, જ્યારે તેઓ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.
હાલ તો સમગ્ર મામલો આણંદ પોલીસમથકે પહોંચતાં, પોલીસ દોડતી થઈ હતી.
ભાજપના ઉમેદવારોએ ક્યાંક લોકોના 'ઉગ્ર વિરોધ'નો સામનો કરવો પડ્યો
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભાજપ સામેના વિરોધ અંગેનો નમૂનો નજરે જોયો હતો. તેમણે કહ્યું, "દસેક દિવસ પહેલાં અસારવા વિસ્તારમાં પાંચ-છ ચાલીના રહીશોએ ચાલીના પ્રવેશદ્વાર પર ભાજપના વિરોધ માટેનાં પોસ્ટરો લગાડ્યાં હતાં. જેમાં 'કમળનું ફૂલ અમારી ભૂલ' જેવા નારા દેખાતા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરના ઇન્ડિયા કૉલોની વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સાથે આવેલી અશોક મિલની નવી ચાલી ખાતે પ્રચારાર્થે પહોંચેલા ભાજપના એક કાર્યકરને એક રહીશે કથિતપણે 'લાફા ઝીંકી દીધા' હતા.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સોસાયટીના રહીશોએ ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે 'રોષ ઠાલવ્યો' હતો.
બીબીસી ગુજરાતીના સુરતસ્થિત સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું કે, "ચૂંટણીપ્રચારમાં ગયેલા ઉમેદવારને સ્થાનિકોએ આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે છેલ્લાં પાંચ વર્ષમાં તેઓ કેમ એક વાર પણ દેખાયા નથી?"
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર હાર્દિકે કહ્યું કે, "વડોદરાના વૉર્ડ નંબર 19માં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. કેટલાક રહીશોએ રોકડું પરખાવતાં કહ્યું હતું કે મત લીધા પછી દેખાજો, ગાયબ ન થઈ જતા."
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 'બિનહરીફ'
ગુજરાત ભાજપનો દાવો છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 કરતાં વધુ બેઠકો પર અન્ય ઉમેદવારોએ ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચતાં ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ પૈકી મોટા ભાગની બેઠકો પર કૉંગ્રેસ સહિત વિપક્ષ અને અપક્ષના ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચ્યાં હોવાના બનાવો સામે આવ્યા, જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.
આનો અર્થ છે કે રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની કુલ 9,992 બેઠકોમાંથી 733 બેઠકો બિનહરીફ જાહેર થતાં આ બેઠકોના મતદારો આ વખત મતદાન કરવાથી વંચિત રહેશે.
આ બાદ સ્થિતિ એવી બની કે ગુજરાતની ત્રણ નગરપાલિકાઓ, કડી, ઊના અને ગણદેવી ભાજપે ચૂંટણી પહેલાં પણ જીતી લીધી હતી.
જોકે, ભાજપના આ બિનહરીફ વિજય સામે વિપક્ષ સતત એવા આરોપો લગાવી રહ્યો છે કે, "ભાજપ લોભ લાલચ, ડર સત્તાનો દુરુપયોગ અને ખોટા પોલીસ કેસનો ડર બતાવીને ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવી રહ્યો છે."
બીજી તરફ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે વિપક્ષના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું, "સત્ય એ છે કે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નથી."
મતદાનની તૈયારીઓ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને સુરક્ષા અને શાંતિ માટે તંત્ર દ્વારા બંદોબસ્ત કરાયો છે.
સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, દરિયાકાંઠાના ટાપુઓ પર મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદમાં, ઇવીએમ લઈને પ્રિસાઇડિંગ અધિકારીઓ હોડી દ્વારા શિયાળબેટ ટાપુ તરફ રવાના થયા હતા. પોલીસ સુરક્ષા સાથે, અધિકારીઓએ પીપાવાવ બંદર દરિયાઈ માર્ગે મુસાફરી કરી જેથી ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન થાય.
અમદાવાદ કલેકટરે ઍક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદ શહેરના વૉર્ડ ન.1, 2, 7, 8, 19, 34ના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તમામ કામગીરી સમયસર અને વ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, સુરત, ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા અંગે પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે.
સમાચાર એજન્સી આઈએએનએસને ગાંધીનગરથી સહાયક ચૂંટણી અધિકારી, મલય ભુવા જણાવ્યું હતું કે, "બધી મતદાન પાર્ટીઓને અહીંથી જરૂરી તમામ સ્ટેશનરી સાથે રવાના કરવામાં આવી રહી છે. આખી મતદાન ટીમ આ સ્થળેથી રવાના થશે. મતદાનના દિવસે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને, તમામ સ્થળોએ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન