રશિયાની ચર્ચા વચ્ચે ઈરાને પાકિસ્તાનને જ ગણાવ્યું સત્તાવાર મધ્યસ્થ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Foad Ashtari/SOPA Images/LightRocket via Getty Images
બીબીસી ન્યૂઝ ફારસી પ્રમાણે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બખાઈએ કહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાન સત્તાવાર મધ્યસ્થ છે.
તેમણે ભારપૂર્વક કહ્યું, "ઘણા દેશ આ સંબંધમાં મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ વાતચીતમાં સત્તાવાર મધ્યસ્થ પાકિસ્તાન છે."
એક ટીવી ઇન્ટરવ્યૂમાં બખાઈએ કહ્યું, "જો વાતચીત કરવાનો નિર્ણય લેવાય છે, તો અમે બધું પારદર્શક રીતે જાહેર કરીશું."
બખાઈએ ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાગચીની હાલમાં જ થયેલી રશિયા યાત્રા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, "વ્યૂહરચનાત્મક ભાગીદારી અંતર્ગત ઈરાન અને રશિયા વચ્ચે રાજકીય, સુરક્ષા અને આર્થિક ક્ષેત્રોમાં મોટા પાયે સહયોગ છે અને હાલની સ્થિતિમાં ઈરાન વિભિન્ન દેશો સાથે વાતચીત કરવા અને પોતાની સ્થિતિ વિશે જણાવવાના પ્રયાસ કરી રહ્યું છે."
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એવું પણ કહ્યું કે રશિયા અને ચીન સાથે રાજદ્વારી સહયોગને કારણે ઈરાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં "ક્ષેત્રના કેટલાક દેશોની દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહીઓ"નો સામનો કરવામાં સફળ રહ્યું છે.
અબ્બાસ અરાગચીના રશિયા પ્રવાસ બાદ એવી ચર્ચા છે કે રશિયા, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી શકે છે.
મધ્ય પ્રદેશ: જબલપુરના બરગી ડૅમમાં 20 વર્ષ જૂનું ક્રૂઝ ડૂબ્યું, છનાં મૃત્યુ, ઘણા ગુમ

ઇમેજ સ્રોત, SHIV CHAUBEY
મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના બરગી ડૅમમાં ગુરુવારે એક મુસાફરો માટેનું ક્રૂઝ ડૂબવાને કારણે ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અધિકારીઓએ જણાવ્યું 22 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, અને ઓછામાં ઓછા આઠ લોકો હજુ પણ ગુમ છે.
સીએસપી બરગી અંજુલ અયંક મિશ્રાએ જણાવ્યું, "અકસ્માત અચાનક ખરાબ થયેલા હવામાન અને ઝડપી તોફાન દરમિયાન થયું."
તેમણે કહ્યું, "એનડીઆરએફ, એસડીઆરએફ, સૈન્યની એક ટીમ અને તંત્રના તમામ લોકો અહીં મોજૂદ છે અને બચાવકાર્યમાં લાગેલા છે."
આ અકસ્માત ખમરિયા ટાપુ પાસે 30 એપ્રિલની સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે થયો.
એ સમયે ક્રૂઝમાં લગભગ 35 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.
ક્રૂઝ પાઇલટ મહેશે દાવો કર્યો કે પાછલાં દસ વર્ષથી તેઓ ક્રૂઝ ચલાવી રહ્યા અને સંપૂર્ણપણે પ્રશિક્ષિત અને લાઇસન્સધારક છે.
ઇઝરાયલે ગાઝા માટે મદદ લઈ જઈ રહેલી 22 હોડીઓને રોકી, 175 ઍક્ટિવિસ્ટ કસ્ટડીમાં

ઇમેજ સ્રોત, Global Sumud Flotilla/Handout via REUTERS
પેલેસ્ટાઇન સમર્થક ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે ગાઝા માટે મદદ લઈને જઈ રહેલા એક ફ્લોટિલા (કાફલો)ની 22 હોડીઓને ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે આંતતરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઇઝરાયલનાં દળોએ રોકી લીધી છે.
ગ્લોબલ સુમૂદ ફ્લોટિલા (જીએસએફ)ના આયોજકોએ આ કાર્યવાહીને 'લૂંટ' ગણાવી છે. તેમનું કહેવું છે કે ગાઝાથી 965 કિમી કરતાં વધુ દૂર મોજૂદ લોકોને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવાયા.
ગાઝામાં ઇઝરાયલે નૌસૈનિક નાકાબંધી કરેલી છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે લગભગ 175 ઍક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ છે અને ફ્લોટિલાને 'પીઆર સ્ટન્ટ' ગણાવાયો છે. વિદેશમંત્રી ગિડિયન સારે કહ્યું કે તેમને ગુરુવાર બાદ 'ગ્રીસના એક દરિયાકાંઠે ઉતારવામાં આવશે.'
જીએસએફના આંકડા પ્રમાણે, ફ્લોટિલાની અન્ય 36 હોડીઓમાંથી મોટા ભાગની હાલ ક્રીટના દક્ષિણ કાંઠાની પાસે છે.
આ ફ્લોટિલા બે અઠવાડિયાં પહેલાં રવાના થયો હતો. તેમાં કુલ 58 જહાજ, સ્પેન, ફ્રાન્સ અને ઇટાલીથી સામેલ થયાં હતાં. તેનો હેતુ ગાઝા પર ઇઝરાયલની નાકાબંધીને તોડવાનો હતો.
'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' પર ભાજપે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શો જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અંદમાન અને નિકોબારના પ્રવાસે ગયેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે મીડિયા સાથે વાત કરતાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "તમારી જમીન તમારી પાસેથી આંચકવામાં આવી રહી છે અને એ ગૌતમ અદાણી અને બીજા મોટા બિઝનેસમૅનને અપાઈ રહી છે. ત્યાં ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ લાગુ નથી થઈ રહ્યો."
તેમણે આગળ કહ્યું, "અહીં વસતા લોકો અને આદિવાસી સમુદાયોને યોગ્ય વળતર નથી મળી રહ્યું અને ચૂપચાપ ભારતનો વારસો છીનવાઈ રહ્યો છે."
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે.
ભાજપે એક્સ પર લખ્યું, "ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના નથી, બલકે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. આ પ્રોજેક્ટ ન માત્ર અંદમાન-નિકોબારને વૈશ્વિક માનચિત્ર પર નવી ઓળખ આપશે, બલકે દેશની સુરક્ષા, વેપાર અને વિકાસને પણ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે."
"પરંતુ કૉંગ્રેસે ક્યારેય આવી દૂરંદેશીવાળા વિચાર નથી રજૂ કર્યા, અને રાહુલ ગાંધી તો અહીં વિદેશી એજન્ટ તરીકે આ પ્રોજેક્ટને રોકવા માટે આવ્યા હતા. જ્યારે મોદીજીના નેતૃત્વમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એક સંદેશ છે - મજબૂત અને વિકસિત ભારતનો."
બુધવારે પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે દેશના લોકોને જણાવશે.
તેમણે કહ્યું, "દેશના લોકોને બતાવશું કે અહીં શું થઈ રહ્યું છે, અંદમાન-નિકોબારના લોકોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરીશું. અંદમાનમાં પાણીની સમસ્યા છે અને ઉપરાજ્યપાલ તરફથી ભ્રષ્ટાચાર પણ ખરો.તેઓ કોઈ રાજાની માફક છે; જે ઇચ્છે છે, એ જ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























