You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ : એક જ પરિવારના ચાર લોકોનાં મોત, ડિનર બાદ મોડી રાતે તરબૂચ ખાધું હતું
- લેેખક, દિપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી
- વાંચવાનો સમય: 3 મિનિટ
શું તરબૂચ ખાધા બાદ કોઈનું મૃત્યુ થઈ શકે છે? મુંબઈના પાયધુની વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુની વાત સામે આવી ત્યારે દરેક વ્યક્તિના મનમાં આ જ પ્રશ્ન હતો. રાત્રે જમ્યા બાદ પરિવારના સભ્યોએ તરબૂચ ખાધું હતું જે બાદ તમામને ઝાડા અને ઊલટી થવાં લાગ્યાં હતાં.
પાડોશીઓ તમામને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોએ છેલ્લે તરબૂચ ખાધું હતું અને આ કારણોસર સ્થાનિક ડૉક્ટરોનું અનુમાન છે કે તમામનું મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે.
જોકે, પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ આવવાનું બાકી છે એટલે મૃત્યુ કયા કારણોસર થયું એ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ખોરાક અને તરબૂચના નમૂના લીધા છે.
શું છે સમગ્ર ઘટના?
ચાલીસ વર્ષના અબ્દુલ્લા દોકડિયા મુંબઈના પાયધુની વિસ્તારમાં આવેલા મોઘલ ઍપાર્ટમેન્ટમાં પત્ની નસરીન દોકડિયા 35 વર્ષ, અને બે દીકરીઓ સાથે રહેતાં હતાં. 25 એપ્રિલના રોજ રાત્રે દસથી સાડા દસ વાગ્યાની વચ્ચે કેટલાક સંબંધીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું.
મુંબઈ પોલીસ અનુસાર સંબંધીઓ ગયા પછી મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બધાંએ તરબૂચ ખાધું હતું. તરબૂચ ખાધા બાદ તમામની તબિયત બગડવા લાગી હતી. વહેલી સવારે પરિવારના સભ્યોને ઊલટીઓ અને ઝાડા થવાં લાગ્યાં હતાં.
આ સમયે, બિલ્ડિંગમાં રહેલા લોકોએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો. એ જ બિલ્ડિંગના ચોથા માળે રહેતા ડૉ. ઝૈદ કુરેશી અબ્દુલ્લાના ઘરે પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે પરિવારના સભ્યોના આરોગ્યની તપાસ કરી હતી.
બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં ડૉ. કુરેશીએ જણાવ્યું હતું કે, ''ઘરમાં પ્રવેશ કર્યા બાદ મેં જોયું કે નાની દીકરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સીપીઆર આપ્યા છતાં તેની સ્થિતિમાં કોઈ ફેર ન પડતાં હું તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું.''
તેમણે વધુમાં જણાવ્યું કે, ''પરિવારના અન્ય સભ્યોને પહેલાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તમામને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણેય સભ્યોનાં મોત થયાં હતાં.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ અનુસાર મૃતકોનો પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે આ ઘટના ફૂડ પોઈઝનિંગના કારણે થઈ છે અથવા બીજું કોઈ કારણ છે.
આ દરમિયાન, સ્થાનિક એમઆઈએમ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું છે કે રાજ્ય સરકાર અને પોલીસ કમિશનરે આ મામલાની નોંધ લેવી જોઈએ અને ઘટનાની તપાસ કરવી જોઈએ.
પોલીસ ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે?
આ કેસમાં જે. જે. પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ મુંધેએ જણાવ્યું હતું :
"એક પરિવારના ચારેય સભ્યોનું મૃત્યુ થયું છે. 25 એપ્રિલની રાત્રે તેઓએ અન્ય કેટલાક સંબંધીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું. એવું જાણવા મળ્યું છે કે સંબંધીઓ ગયા પછી રાત્રે એકથી દોઢ વાગ્યાની આસપાસ બધાએ તરબૂચ ખાધું હતું. આ પછી, સવારથી તેમને ઊલટી અને ઝાડા થવા લાગ્યાં હતાં. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી, તેમને જે. જે. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચારેયનું કમનસીબે મૃત્યુ થયું હતું."
"પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસે તેમણે ખાધેલા ખોરાકના નમૂના એકત્ર કર્યા છે. તરબૂચના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તેમના શરીરમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે."
પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે શું કહ્યું?
સ્થાનિક એમઆઈએમ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે માંગ કરી છે કે રાજ્ય સરકાર અને મુંબઈ પોલીસ કમિશનર આ બાબતની નોંધ લેવી જોઈએ.
X પર એક પોસ્ટ શેર કરતા વારિસ પઠાણે કહ્યું, "મને ઘણા લોકોના ફોન આવ્યા છે જેમાં તેઓ પૂછપરછ કરી રહ્યા છે કે આ રીતે કોઈ વ્યક્તિ કેવી રીતે મૃત્યુ પામી શકે છે? તેનું કારણ શું છે? અમે હાલમાં પૉસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. મારી રાજ્ય સરકાર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે આ મામલાની તપાસ કરવી જોઈએ કે ખરેખર શું થયું?"
"આખા પરિવારનું એક સાથે મૃત્યુ શા માટે થયું. પછી ભલે તે તરબૂચ ખાવાથી થયું હોય કે બીજું કોઈ કારણ હોય. તપાસ થવી જોઈએ. સરકારે આ માહિતી જાહેર કરવી જોઈએ જેથી અન્ય લોકો કાળજી લઈ શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન